વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા

લેખ ભાષા

Written By : Utpal Mehta (ઉત્પલ મહેતા)

10th May, 2026

ભારતની ધરતીને “બહુ રત્ના વસુંધરા” કહેવાય છે. આ વાક્ય માત્ર એક અલંકારિક અભિવ્યક્તિ નથી, પરંતુ એ આપણા સમાજમાં વસતા એવા અણમોલ માનવો માટે વપરાતું સચોટ વર્ણન છે, જેઓ પોતાના કાર્ય, વિચાર અને માનવતાથી સમાજમાં આશાનો દીવો પ્રગટાવતા રહે છે. આજના સમયમાં, જ્યાં મોટાભાગના લોકો જીવનને માત્ર સ્વહિત અને આર્થિક લાભના દૃષ્ટિકોણથી જોતા થયા છે, ત્યાં પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જેઓ પોતાના હૃદયની વિશાળતા, સેવા ભાવના અને સંવેદનશીલતાથી માનવતાને જીવંત રાખે છે. આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે વડોદરા સ્થિત “અરહમ ઓર્ગેનિક સ્ટોર”ના સ્થાપક શ્રી ધિરેનભાઈ મહેતા.

શ્રી ધિરેનભાઈ મહેતા મૂળ કચ્છ-ભુજના વતની છે. જીવનના સંઘર્ષોને પાર કરીને તેઓ વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા અને પોતાની મહેનત, અનુભવ તથા સંશોધનાત્મક દૃષ્ટિથી સફળતાનો માર્ગ બનાવ્યો. તેઓ માત્ર વ્યવસાયી નથી, પરંતુ જીવનને ઊંડાણપૂર્વક સમજતા, માનવ સ્વભાવનું અધ્યયન કરનાર અને સમાજની જરૂરિયાતોને અનુભવનાર વ્યક્તિત્વ છે.

તેમનો વ્યવસાયિક અને વૈજ્ઞાનિક અનુભવ અત્યંત વૈવિધ્યસભર રહ્યો છે. તેઓ એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા આરોગ્યલક્ષી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. પરંતુ તેમની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ છે કે તેઓ કોઈપણ વ્યક્તિની ખામીઓ કરતાં તેની સકારાત્મકતાઓને વધુ મહત્વ આપે છે. કોઈની ટીકા કરવાની જગ્યાએ તે વ્યક્તિ માં રહેલી સારી બાબતોને ગ્રહણ કરવાની તેમની આદત, તેમના વ્યક્તિત્વને વધુ ઉન્નત બનાવે છે.

તેમની પાસે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને જાય અને તેઓ તેને મદદ કરવાનો પ્રયત્ન ન કરે, એવું ભાગ્યે જ બને. તેમના માટે માણસ પહેલા અને વ્યવસાય પછી આવે છે. તેમની અંદર રહેલી આ માનવતાની ભાવના જ તેમને સામાન્ય વ્યવસાયીઓથી અલગ બનાવે છે.

કોરોના મહામારીના અતિ કઠિન સમયમાં, જ્યારે સમગ્ર માનવજાત ભય અને અનિશ્ચિતતામાં જીવતી હતી, ત્યારે શ્રી ધિરેનભાઈએ સેવા અને કરુણાનો માર્ગ પસંદ કર્યો. ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓ માટે યોગ્ય ખાદ્ય પદાર્થો અને કુદરતી ઔષધીય સામગ્રી પહોંચાડવાની જરૂરિયાત અનુભવી. આ સેવા કાર્ય દરમિયાન તેમને એક મહત્વપૂર્ણ સત્ય સમજાયું — કે રસાયણિક ખાતરોથી ઉગાડવામાં આવતા ખાદ્ય પદાર્થોની તુલનામાં સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ, મસાલા અને ખોરાક શરીરને વધુ આરોગ્યપ્રદ અને સુરક્ષિત બનાવે છે.

આ વિચાર માત્ર વિચાર બની રહ્યો નહીં; પણ તેમણે તેને જીવનમાં ઉતારવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ શરૂ થયો એક ઊંડો સંશોધનપ્રવાસ. કયા પ્રદેશમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ ગુણવત્તાની મળે છે? કઈ જમીન અને વાતાવરણમાં ઉત્પાદિત સામગ્રી સૌથી વધુ પ્રાકૃતિક ગુણધર્મો ધરાવે છે? આવા અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં તેમણે પોતાને સમર્પિત કર્યા.

તેમનું માનવું છે કે કોઈપણ ખાદ્ય સામગ્રી તેની મૂળ ભૂમિમાંથી મેળવવામાં આવે તો તેની ગુણવત્તા અને ઔષધીય તત્ત્વો વધુ સારી રીતે જળવાઈ રહે છે. કોરોના કાળ દરમિયાન તેમણે આ ક્ષેત્રે ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્ય કર્યું અને પછી વિચાર કર્યો કે આ જ્ઞાન માત્ર પોતાની પાસે જ શા માટે રાખવું? સમાજના આરોગ્ય માટે તેનો વ્યાપક ઉપયોગ કેમ ન કરવો?

આ વિચારમાંથી જ જન્મ થયો વડોદરા, અકોટા ખાતે સયાજી હોલની બાજુમાં આવેલ “અરહમ ઓર્ગેનિક સ્ટોર”નો. આજે આ સ્ટોર માત્ર એક દુકાન નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જતું એક વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ગયું છે. અહીં દેશના વિવિધ પ્રદેશોમાંથી લાવવામાં આવેલી લગભગ હજારેકથી વધુ ઓરિજિનલ અને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ છે.

શ્રી ધિરેનભાઈ આરોગ્ય અને આયુર્વેદ વિષયક અનેક રસપ્રદ તથ્યો રજૂ કરે છે. ઉદાહરણ તરીકે તેઓ જણાવે છે કે સામાન્ય હળદરમાં ૨ થી ૪ ટકા સુધી કર્ક્યુમિન હોય છે, જ્યારે વિશેષ પ્રદેશોમાંથી મેળવવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની હળદરમાં ૭ થી ૧૦ ટકા સુધી કર્ક્યુમિન મળી શકે છે. આ તત્ત્વ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વિવિધ રોગોમાં નોંધપાત્ર સ્તરે ઉપયોગી સાબિત થઈ શકે છે.

તેઓ કહે છે કે જ્યારે ઉત્તમ ગુણવત્તાની હળદરને દેશી ગાયના શુદ્ધ ઘી સાથે યોગ્ય રીતે ઇન્ફ્યુઝ કરવામાં આવે, ત્યારે તેના વધુ સારા પરિણામો જોવા મળે છે. જોકે તેઓ આ બાબતમાં ગેરસમજ  ફેલાવતા નથી. તેઓ સ્પષ્ટપણે માનતા હોવાને કારણે ઈમાનદારીપુર્વક કહે છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, માટે ઔષધિની અસર પણ દરેક વ્યક્તિ એ અલગ અલગ હોઇ શકે, આરોગ્ય અને ઔષધિની અસરમાં શરીરની આંતરિક સ્થિતિ કે પ્રક્રતિ પણ એટલી જ અગત્યની છે. છતાં, આપણા ઋષિ-મુનિઓએ આપેલું આયુર્વેદિક જ્ઞાન અત્યંત મૂલ્યવાન છે અને તેને અવગણવું યોગ્ય નથી.

તેમનું માનવું છે કે જો સમાજ રસાયણમુક્ત ખોરાક તરફ વળે, તો લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે, બાળકોમાં સારો શારીરિક વિકાસ થાય અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર પડે.

ખરેખર, “જેટલો શુદ્ધ ખોરાક, એટલું વધુ તંદુરસ્ત શરીર” — આ વિચારને તેમણે માત્ર શબ્દોમાં જ નહીં, પરંતુ પોતાના કાર્ય દ્વારા પણ જીવંત બનાવ્યો છે. તેઓએ વિવિધ ગંભીર રોગોમાં ઓર્ગેનિક પદાર્થોના ઉપયોગથી સકારાત્મક પરિણામો મેળવવાના પ્રયાસો કર્યા છે અને મેળવ્યા છે, આ ક્ષેત્રે તેમનું સંશોધન આજે પણ સતત ચાલુ છે.

દેશના વિવિધ પ્રદેશોમાંથી મૂળ અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ શોધી, તેને લોકો સુધી પહોંચાડવાની તેમની ભાવના માત્ર વ્યવસાયિક નથી, પરંતુ એક પ્રકારની સામાજિક સેવા છે. તેઓ લોકોના આરોગ્ય માટે કાર્ય કરી રહ્યા છે અને કદાચ આ જ કારણ છે કે તેઓ માત્ર નફો નહીં, પરંતુ લોકોના આશીર્વાદ પણ કમાઈ રહ્યા છે.

આજે જ્યારે આરોગ્ય સંદર્ભ સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સમાજે માત્ર દવાઓ પાછળ ખર્ચ વધારવાને બદલે ખોરાકની શુદ્ધતા અને જીવનશૈલીની ગુણવત્તા અંગે વધુ જાગૃત થવાની જરૂર છે.

શ્રી ધિરેનભાઈ મહેતા જેવા લોકો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા માત્ર સંપત્તિમાં નથી, પરંતુ સમાજને આપેલી સકારાત્મક દિશામાં છે.

અંતે એટલું જ કહી શકાય કે, જો સમાજ આરોગ્યપ્રદ અને રસાયણમુક્ત જીવન તરફ આગળ વધવા ઇચ્છે, તો આવા પ્રયાસોને સમજવા, અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કારણ કે સારા આરોગ્યથી મોટું કોઈ ધન નથી.

જેઓ ઇચ્છે તેઓ શ્રી ધિરેનભાઈ મહેતાનો સીધો સંપર્ક કરી શકે : 97 12 69 95 40.

#UtpalMehtaProducer

એકવચન: 1 એ “વડોદરા સ્થિત મુઠી ઉંચેરો માનવી એટલે“અરહમ ઓર્ગેનિક સ્ટોર” ના સ્થાપક શ્રી ધિરેનભાઇ મહેતા” પર વિચાર કર્યો

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો